
આરોપી અને જામીનોના મુચરકા
(૧) કોઇ વ્યકિતને મુચરકા ઉપર અથવા જામીનખત ઉપર છોડવામાં આવે તે પહેલા યથાપ્રસંગ પોલીસ અધિકારી કે ન્યાયાલય પુરતી ગણે તેવી રકમનો તેણે મુચરકો કરી આપવવો જોઇશે અને તેને મુચરકા અથવા જામીનખત ઉપર છોડવામાં આવે ત્યારે જરૂર પ્રમાણે એક કે તેથી વધુ પૂરતા જામીનોએ મુચરકામાં જણાવેલા સમયે અને સ્થળે તે વ્યકિત હાજર રહેશે અને યથાપ્રસંગ પોલીસ અધિકારી કે ન્યાયાલય અન્યથા ન ફરમાવે ત્યાં સુધી તે પ્રમાણે હાજર રહેવાનું ચાલુ રાખશે એવી શરતોવાળો મુચરકો કરી આપવો જોઇશે.
(૨) કોઇ વ્યકિતને જામીન ઉપર છોડવા માટે કોઇ શરત મૂકવામાં આવી હોય ત્યારે મુચરકા અથવા જામીનખતમાં તે શરત પણ હોવી જોઇશે.
(૩) કેસની હકીકત જોતાં જરૂરી જણાય તો મુચરકા અથવા જામીનખતમાં એવી શરત પણ ઉમેરવી જોઇશે કે જામીન ઉપર છોડાયેલ વ્યકિત ઉચ્ચન્યાયાલયમાં સેશન્સ ન્યાયાલયમાં કે બીજા ન્યાયાલયમાં ફરમાવવામાં આવે ત્યારે ત્હોમતનો જવાબ આપવા હાજર થશે.
(૪) જામીનનો યોગ્ય કે પૂરતા છે કે કેમ તે નકકી કરાવવા માટે ન્યાયાલય જામીનોના પૂરતાપણા કે યોગ્યતા સબંધી તેમાં જણાવેલી હકીકતોની સાબિતીમાં સોગંદનામામાં સ્વીકારી શકશે અથવા પોતાને જરૂરી લાગે તો તેવા પૂરતાપણ કે યોગ્યતા અંગે પોતે જાતે તપાસ કરી શકશે અથવા ન્યાયાલયની સતા નીચેના મેજિસ્ટ્રેટ પાસે તપાસ કરાવી શકશે.
Copyright©2023 - HelpLaw